વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૧)

Click here to read in English
હું વાણીવિનિમયના શાસ્ત્રનો કોઈ નિષ્ણાત નથી; કે વળી કેવી રીતે વ્યક્તિઓ સાથે વાતચીત કરવી અને કેવી રીતે સભાઓને સંબોધવી તેનો માર્ગદર્શક પણ નથી. મને મારી જાત ઉપર દયા આવે છે કે શા માટે હું મારા નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવાનો પ્રયત્ન કરીને બહુ જ ગહન અને વૈજ્ઞાનિક અભ્યાસ સમા વિષયને મારા આજના લેખમાં પસંદ કરી રહ્યો છુ! હું મને પ્રશ્ન પૂછું છું કે, ‘મિ. લેખક (Author), તમે કેવી રીતે હાથમાં તલવાર વગર જ માત્ર બખ્તર ધારણ કરવાની હિંમત કરી રહ્યા છો!’ પણ, હું ‘જે થાય તે ખરું’ ના ખ્યાલ સાથે તૈયાર જ છું. હું અહીં ગુજરાતી સાહિત્યકાર વીર નર્મદના પડકારને યાદ કરું છું, ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.

હવે જો હું આપણા ભારતીય રેલવે પ્રધાન શ્રી લાલુપ્રસાદ યાદવને તેમના બજેટ પ્રવચન દરમિયાન તેમણે કહી સંભળાવેલી કેટલીક હિંદી પંક્તિઓના તેમણે જ કરેલા હિંમતભર્યા અંગ્રેજી ભાષાંતર સંદર્ભે તેમને અહીં યાદ કરું તો મારા ભલા વાંચકો મને થોડોક સહી લેશે તેવી આશા સેવું છું. હું મારા વિષયની હદ બહાર જવા માટે દિલગીર છું, પણ તેમના હિંદી પઠનને તમારા મનોરંજન ખાતર તમારી નોંધ બહાર અહીં આપવા મારી જાતને રોકી શકતો નથી.

સબ કહતે હૈં, હમને ગજબ કિયા હૈ,

કરોડોંકા મુનાફા, હર એક શામ દિયા હૈ|

ફલ સાલોંમેં અબ દેગા પૌધા જો લગાયા હૈ,

સેવાકા સમર્પણકા હમને ફર્જ નિભાયા હૈ|

મિ. લાલુપ્રસાદ યાદવના હાજરજવાબીપણા અને રમુજી સ્વભાવે તેમને ઉપરોક્ત કંડિકાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે લથડતી અને કબુતરના ઘૂઘવાટ જેવી અંગ્રેજી ભાષામાં જે સંભળાવ્યું તેનાથી માત્ર લોકસભાના સભ્યો જ નહિ, પણ સ્પીકર શ્રી સોમનાથ ચેટરજી પણ હસી પડ્યા હતા. તેમણે ભાષાંતરિત જે વાક્યો સંભળાવ્યાં તે નમૂનારૂપે આ પ્રમાણે છે : ‘They are saying that Lalu Yadav has planted a fruit tree and every year it is a duty of mine to grow fruit trees.’ (તેઓ કહે છે કે લાલુ યાદવે ફળનું ઝાડ વાવ્યું છે, અને દર વર્ષે ફળોનાં ઝાડ ઊગાડવાની મારી ફરજ છે.)

હું આગળ જતાં મારા વિષયવસ્તુના યોગ્ય મુદ્દા સાથે ઉપરોક્ત ઘટનાને જોડીશ, પણ હાલ તો મારા લેખના શીર્ષકને સંલગ્ન અને તેને યોગ્ય ન્યાય આપવાના હેતુસર મારા લઘુ જ્ઞાનને અહીં રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. અમારા એસ.એસ.સી. વર્ષ ૧૯૫૯ના સમયગાળામાં અમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં (Yateo’s Gift – યાટેઓની ભેટ)શીર્ષકે એક વાર્તા હતી. અહીં આટલો જ સંદર્ભ મારા હેતુ માટે પૂરતો છે. એ વાર્તાના અંતે બોધવચન હતું, ‘કોઈ નાની પણ ભેટ પ્રેમ સાથે આપવામાં આવે તો તે મહાન બની શકે છે.’ (A little gift may be perfect if love goes with it.) મારા આગળ આવનારા લખાણ માટે પણ એ જ સૂત્ર લાગુ પડે છે, આ રીતે કે ‘A little learning may be perfect if style of presentation goes with it.’ (થોડુંક જ્ઞાન પણ સારી રીતે રજૂ કરવામાં આવે તો મહત્વપૂર્ણ બની શકે છે.)

અહીં ઘટનાની પશ્ચાદભૂમિકા ટૂંકાણમાં આપીશ. તે ૧૯૮૨ નું વર્ષ હતું. અમે અમારા કૌટુંબિક કારખાનેદાર તરીકેના હાથસાળ કાપડ વણાટ ઉદ્યોગમાંથી ઓટોમોબાઈલના ધંધા તરફ વળ્યા હતા. અમે અમારો ધંધો કેટલીક ટાયર, લુબ્રિકેન્ટ્સ અને ઓટો ઈલેક્ટ્રીકલ કંપનીઓની ડીલરશીપ્સથી શરૂ કર્યો હતો. મિ. સુબીર બેનરજી ‘Firestone’ ટાયર કંપનીના અમદાવાદ મુકામે ડીસ્ટ્રીક્ટ મેનેજર હતા. એક દિવસે તેઓ પાલનપુર ખાતે અમારા શોરૂમની ઔપચારિક મુલાકાતે આવ્યા હતા. સામાન્ય રીતે અમારી પ્રિન્સીપાલ કંપનીના પદાધિકારીઓ અને સેલ્સમેન સુદ્ધાં પણ કદીય કોઈ ડીલરના ભોજનના આમંત્રણનો સ્વીકાર કરે નહિ. વળી ‘Firestone’ અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની હતી અને પોતાની આચારસંહિતામાં ચુસ્ત હતી. આમ છતાંય એક અપવાદરૂપ કિસ્સા તરીકે મિ. બેનરજીએ અમારી મહેમાનગતીની ભાવનાની લાગણીને માન આપીને અમારા આમંત્રણનો સ્વીકાર કરી લીધો હતો. અમે અમારા બપોરના ભોજન માટે હાઈવે ઉપરની એક સારી હોટલે ગયા. અમારો ઓર્ડર ખાસ આઈટમોનો હોઈ અમારે અડધોએક કલાક રાહ જોવી પડે તેમ હતી. મિ. બેનરજી અને હું આરામથી ફેમિલી રૂમમાં બેઠા હતા. તેમની અટક ઉપરથી હું મિ. બેનરજીને બંગાળી ધારતો હતો, પણ તેઓ ઈંદોર (મ.પ્ર.)ના હતા. સમય પસાર કરવા અને અને અમને કકડીને લાગેલી ભૂખને ભૂલવા અમે સામાન્ય વાતચીત શરૂ કરી, જે પૈકી નીચે આપેલો અમારી વચ્ચેનો સંવાદ મુખ્ય સ્થાને હતો.:

‘વલીભાઈ, આપ સારું શિક્ષણ પામેલા માણસ છો અને ઉર્દુ ગઝલ કે એવી કોઈ કાવ્યરચનાઓમાં રસ પણ ધરાવતા હશો, કેમ ખરૂ કે નહિ?’

હા, અલબત્ત!’ (એક અણધાર્યા પ્રશ્ને મને મૂંઝવણમાં મૂકી દીધો હતો અને મને લાગ્યું કે મારા હકારાત્મક જવાબથી મેં કંઈક કાચું કાપ્યું હતું!)

‘બહુ જ સરસ! હું નસીબદાર છું કે કંઈક આનંદ મેળવવા માટે આપની પાસેથી કોઈ શેર-શાયરી સાંભળવા મળશે ખરી!’

‘હા, હા. ચોક્કસ! કેમ નહિ? પણ આપ શ્રોતા તરીકેના શિષ્ટાચારોને જાણૉ છો ખરા?’ (હું મારી સામે આવેલા પડકારને પહોંચી વળવા સામે મારી મર્યાદાઓને જાણતો હતો, પણ નિર્દોષ વિનોદને ખાતર હું તેમને ગૂંચવવાની કોશીશ કરી રહ્યો હતો!)

‘હા, હા. સાંભળનારાએ દાદ (ઉત્સાહ અને પ્રશંસાપ્રેરક શબ્દોચ્ચાર) આપવી પડે, ખંરું ને?’

‘હા, બરાબર!’

મારે તેજાબના પરીક્ષણમાંથી પસાર થવાનું હતું! મારા સારા નસીબે ઘણાં વર્ષો પહેલાં મારા એક મિત્ર પાસેથી સાંભળેલા કેટલાક શેર યાદ આવી ગયા. હવે હું એક બહાદુર યોદ્ધાની જેમ મારા અગાઉના વિધાનથી સાવ વિરુદ્ધ એમ હવે બખ્તર પહેર્યા વગર જ નગ્ન તલવાર સાથે તૈયાર હતો!

‘પણ, એક શરત! આપને જે સંભળાવું તેનાથી કંઈક વિશેષની માગણી આપ કરશો નહિ, સમજ્યા?’

‘હું આપની શરતને સમજી શક્યો નથી! મહેરબાની કરીને ખુલાસો કરશો?’

‘હું માનીશ કે આપ ઉચ્ચ કોટિના એ શાયર અને ઉર્દુના સર્વોચ્ચ ગણાય એવા એમના એ સર્જનનું યોગ્ય મુલ્યાંકન કરી શક્યા નથી!’

હું પાણી આવવા પહેલાં અગાઉથી પાળ બાંધવાની તૈયારી કરી રહ્યો હતો કેમ કે મારા ભાથામાં એક માત્ર તીર હતું!

‘ઓ.કે.બાબા, ઓ.કે.! હું સંમત થાઉં છું, પણ આપ કયા શાયરની શાયરી સંભળાવશો?’

‘આપ, માત્ર આપ જ તે શાયરનું નામ જણાવશો, હું નહિ! જો આપ તેમના ચાહક હશો તો!’ મને શાયરના નામની ખબર તો હતી જ, પણ હું મિ. બેનરજીના મેદાનના ભાગે મારો દડો નાખવા માગતો હતો.

‘વલીભાઈ, આપ સાચે જ હોશિયાર માણસ છો! નિ:શંકપણે હું ખ્યાતનામ શાયરોના સેંકડો શેર સંભળાવી શકું; પણ હવે મને પાકી ખાત્રી થઈ ગઈ છે કે આપ મને હરાવશો જ! આપે મને લાંબા સમય સુધી લલચાવ્યો છે! હવે પ્લીઝ, મારા મનના શીઘ્ર સંતોષ માટે તે ચીજ સંભળાવશો?’

મને હવે લાગ્યું કે હું મારી કિલ્લેબંધીમાં સલામત છું! મે કહ્યું, ‘જનાબ, તો પેશ હૈ યે!’(Sir, now it is this!)

દિલ હી તો હૈ ન સંગો ખિશ્ત, દર્દ સે ભર ન આયે ક્યોં?
રોયેંગે હમ હઝાર બાર, કોઈ હમેં સતાયે ક્યોં? (૧)

(સંગ=પથ્થરઃ ખિશ્ત=ઈંટ)

દૈર નહીં, હરમ નહીં, દર નહીં, આસ્તાં નહીં,
બૈઠે હૈ રેહગુજર પે હમ, ગૈર હમેં ઉઠાયે ક્યોં? (૨)

(દૈર=મંદિર; હરમ=મસ્જિદ; દર=દરવાજો; આસ્તાં=ઊંબરો; રેહગુજર=રસ્તો)

જેવું મારા શેરનું પઠન પૂરું થયું કે તરત જ મિ. બેનરજી પોતાના મોભાને ભૂલીને, પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ મને ભેટી પડતાં સહસા મોટેથી બોલી ઊઠ્યા, ‘બરાબર, બહુ જ સરસ, બહુ જ સરસ, વલીભાઈ! એ શાયર બીજા કોઈ નહિ, પણ મિરઝા ગાલિબ, ખરું કે નહિ? હવે કોઈ જ જાતના સંકોચ વગર મારે આપની પૂર્વશરતને માન આપવું જ પડશે; કેમ કે હું પોતે જ ગાલિબ સાહેબનો પ્રશંસક છું. વલીભાઈ, એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી કે હું આજે કેટલો ખુશ થયો છું! સાચે જ, આપે મને ઉલ્લાસમય આશ્ચર્ય આપ્યું છે; આભાર, આપનો ખૂબ ખૂબ આભાર!’

‘ઉલ્લાસમય આશ્ચર્ય? ખરેખર! આપે મને બિરદાવ્યો તેનો મને આનંદ છે, પણ હજુ આપને આનાથી પણ મોટું આશ્ચર્ય આપવાનું બાકી છે; જ્યારે કે આપણે છેલ્લે છૂટા પડવાનું થશે ત્યારે, હાલ નહિ!’ મેં કહ્યું.

મારા માનવંતા વાંચકો, તમારે પણ મિ.બેનરજીને ‘વધુ એક આશ્ચર્ય’ના અપાએલા વચનને જાણવા માટે મારા આ આર્ટિકલના ભાગ-૨ના સમાપન વખતે તમારી વિદાય લઉં ત્યાં સુધી તમારે પણ રાહ જોવી પડશે.

દરમિયાન, આજનો આપનો દિન શુભ રીતે પસાર થાય તેવી મારી કામનાસહ,

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Art of balanced Exaggeration in Conversation Part-I” published on September 23, 2008.

.

Comments

2 Responses to “વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૧)”

  1. મારા માનવંતા વાંચકો, તમારે પણ મિ.બેનરજીને ‘વધુ એક આશ્ચર્ય’ના અપાએલા વચનને જાણવા માટે મારા આ આર્ટિકલના ભાગ-૨ના સમાપન વખતે તમારી વિદાય લઉં ત્યાં સુધી તમારે પણ રાહ જોવી પડશે…..,
    And,,,,Valibhai I will wait for the next Post !…Really very nicely narrated…you have beem gifted with the mastery of Languages (both English & Gujarati ).
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai..Thanks for your recent visit/comment on Chandrapukar…but I wait for you to read the Posts on HUMAN HEALTH…Please do come again to my Blog !

  2. વાતની રજૂઆતની તમારી કળાનો કોઈ જવાબ નથી . માશાલ્લાહ ..
    જો કે, ઉર્દૂ શેર સમજવાની મારી ગેર લાયકીના કારણે શેર ન સમજાયા.

Leave a Reply