My Comment on a Gujarati Poem (વિવેચન)
Friends,
Find below my comment on a Gujarati Poem “મારા પિતાજી” written by Mr. Vijay Shah (Houston – USA) on “Father’s Day”.
મારા પિતાજી
માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!
મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!
કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી!
ઉપકારો ક્રોડો ના ઉતરે મારા પિતાજી!
સ્વિકારું તે સૌ રોજ હું મારા પિતાજી!
પ્રાર્થુ પ્રભુને દે સૌ સુખો મારા પિતાજી!
પ્રણમું રોજ સવારે તમને મારા પિતાજી!
આ જીવન દાન મને તમારું મારા પિતાજી!
ભવો ભવ મુજ મસ્તકે હાથ તમારો પિતાજી!
“પિતૃ”દિને એ વાત સ્મરું મારા પિતાજી!
તુજાશિષોથી ઉજળો હું ઓ મારા પિતાજી!
-વિજય શાહ (હ્યુસ્ટન)
(જુન ૮, ૨૦૦૮)
Comment
નમસ્તે, ભાઈશ્રી વિજય શાહ..
ધન્યવાદ, પિતૃદિને ઉત્તમ કાવ્ય બદલ!
ક્યાંક વાંચ્યાનું યાદ છે કે કોઈક ઋષિપિતા પોતાના પુત્રશિષ્યને સતત ત્રણ દિવસ એક એક કથન દ્વારા જ્ઞાન આપતાં સમજાવે છે કે (૧) હું તારો પિતા નથી!(૨) તું મારો પુત્ર નથી! (૩) હું તારો પિતા નથી કે તું મારો પુત્ર નથી! પુત્રશિષ્ય ત્રણ દિવસ સુધી ગજબની અકળામણ અનુભવે છે, માતા વિષેના અશુભ વિચારોમાં! ચોથા દિવસે રહસ્ય ખોલતાં ઋષિપિતા સમજાવે છે કે આપણે એક જ સમયે સર્જાયેલા આત્માઓ છીએ. આ જગતમાં આગળપાછળ અવતરવાથી આપણે પિતાપુત્ર બન્યા.
ઈસ્લામિક ફિલસુફી પણ આ વાતને અન્ય રીતે સમજાવે છે કે પુત્ર માટે પિતા ભલે ભૂતકાળ હોય, પણ પુત્ર તો પિતાનું જ ભવિષ્ય છે. પિતા અવસાન પામતો નથી, પણ પુત્રરૂપે જીવિત હોય છે. હવે જોવાનું રહે છે કે પિતા પોતાનું કેવું ભવિષ્ય બનાવવા ઈચ્છે છે. સંતાનોના ઉત્તમ સંસ્કારસિંચનથી જ ઉજ્જવળ ભવિષ્ય બની શકે. આ માટે ખુદ પિતાએ જ પહેલા સંસ્કારી બનવું પડે. પુત્રપક્ષે જોતાં સંસ્કાર ગ્રહણ કરવાની જવાબદારી હવે તેના ઉપર આધારિત છે.
વીર નર્મદનું સૂચક કથન છે કે બાપનું નામ બે રીતે ઉજ્જવળ કરી શકાય – “રૂડે નામ કે ભૂંડે નામ!” પુત્રનાં રૂડાં કામોથી જગત પિતાને જશ આપે કે “કેવો સંસ્કારી પિતાનો પુત્ર!” અને પુત્રનાં ભૂડાં કામોથી પણ પિતાને જશ તો મળે જ કે “સંસ્કારી પિતાના ઘરે કેવો કપૂત પાક્યો!”. હવે પુત્ર પાસે જ વિકલ્પ બાકી રહે છે કે કયા માર્ગે પિતાનું નામ ઉજ્જવળ કરવું! “દીકરો-દીકરી એક સમાન” ન્યાયે ઉપરોક્ત ચર્ચામાં ‘પુત્ર’ શબ્દના સ્થાને ‘સંતાન’ શબ્દ લેવાથી સઘળું ન્યાયોચિત બની રહેશે.
વિદેશમાં વસવાટ કરતાં મારાં ગુજરાતી ભાઈબહેનોને આજના ‘ગુજરાત સમાચાર’ની રવિપૂર્તિના પ્રથમ પાના ઉપરનો ભવેન કચ્છીનો આ સંદર્ભમાં લખાયેલો લેખ વાંચવાની ભલામણ કરું છું.
વંદનસહ,
વલીભાઈ મુસા
(જુન ૮, ૨૦૦૮)
